બુદ્ધ પૂર્ણિમાએ ભગવાન ગૌતમ બુદ્ધની જયંતીના રૂપે ઉજવાય છે. આજના દિવસે જ ભગવાન બુદ્ધનો જન્મ અને બૌદ્ધ જ્ઞાન થયું હતું. તેથી બૌદ્ધ ધર્મ અનુયાયીઓ માટે બુદ્ધ પૂર્ણિમાનો દિવસ વિશેષ હોય છે. બુદ્ધ પૂર્ણિમાએ વૈશાખી પૂર્ણિમાના નામથી પણ ઓળખાય છે. વૈશાખ માસની પૂર્ણિમાનું અલગ જ મહત્વ છે. લાખો શ્રદ્ધાળુઓએ આજે હરિદ્વાર, પ્રયાગરાજ અને નાસિકમાં ગંગા આસ્થાની ડૂબકી લગાવે છે,પ્રયાગરાજમાં લોકો ગંગામાં ડુબકી લગાવી ગંગા માંની પૂજા અર્ચના કરે છે. મહામારીના સમયમાં આપડે સૌ પ્રાર્થનાથી અર્ચના કરીશું.
ઘણા વર્ષો સુધી બોધગયામાં બોધિ વૃક્ષ નીચે તપસ્યા કર્યા બાદ જ્યારે ભગવાન બુદ્ધને જ્ઞાાનની પ્રાપ્તિ થઇ તો એ દિવસ આખી સૃષ્ટિ માટે ખાસ બની ગયો, જેને આજે વૈશાખ પૂર્ણિમા નામથી ઓળખવામાં આવે છે. વૈશાખ પૂર્ણિમાને દિવસે ગંગામાં સ્નાનનું અનેરું મહત્વ છે. આ દિવસે ગરીબોને ભોજન કરાવવું અને કપડા દાન કરવું જોઇએ. આ દિવસે બૌદ્ધ ધર્મના લોકો ઘર અને મંદિરોમાં ભગવાન બુદ્ધની મૂર્તિને ધૂપ-દીપ કરી અને મીણબત્તી સળગાવી ભગવાન બુદ્ધની પ્રાર્થના કરે છે.
માનવામાં આવે છે કે ભગવાન બુદ્ધ વિષ્ણુના ૯માં અવતાર છે. સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક છે. ઇ.સ. પુર્વે ૫૬૩માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાક્ય ક્ષત્રિય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.
મહાભિનિષ્ક્રમણ : ૨૯ વર્ષની ઉંમરે એક દિવસ નગરચર્યા દરમ્યાન તેમણે એક વૃદ્ધ વ્યક્તિ, એક રોગી વ્યક્તિ, એક સડી રહેલ મડદું અને એક સાધુને જોયા. આની તેમના માનસ પર ઊંડી અસર થઈ. જીવનના આ દુ:ખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું.
બોધિની પ્રાપ્તિ : સન્યાસી જીવન દરમિયાન આનાપાન-સતી (શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા) અને વિપશ્યના ના અભ્યાસ દ્વારા ૩૫ વર્ષની વયે તેમને બોધિ પ્રાપ્ત થઈ અને તેઓ બુદ્ધ કહેવાયા.
શેષ જીવન :- બોધિ પ્રાપ્ત કર્યા પછીનું જીવન તેમણે લોકોમાં જ્ઞાાનનાં પ્રસાર અને તેમના દુ:ખની મુક્તિ માટે ગાળ્યા.

No comments:
Post a Comment