Friday, 22 July 2022

ખેતર ફરતે વૃક્ષો ઉછેરી આવક વધારો

 

 

દેશમાં ઘણો ઓછો જંગલ વિસ્તાર છે તેને ૩૩ ટકા સુધી લઈ જવા માટે એક માત્ર વિકલ્પ કૃષિ વનીકરણનો અમલ છે. કૃષિ વનીકરણને કારણે હવામાનમાં ફેરફાર ઉપર નિયંત્રણ લાવી શકાય ઉપરાંત કુદરતી સંસાધનોનું પણ રક્ષણ કરી શકાય. કૃષિ વનીકરણ નીતિ-૨૦૧૪ને ભારતના માન.રાષ્ટ્રપતિશ્રીના વરદ હસ્તે ૧૦ મી ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ ખુલ્લી મૂકવામાં આવી. સ્વતંત્ર કૃષિ વનીકરણ નીતિની ગેરહાજરીમાં કેટલાક નિર્ણય જેવા કે વૃક્ષોને કાપવા, એક સ્થળેથી બીજા સ્થળ લઈ જવા, હયાત વિસ્તરણ પદ્ધતિ, સંસ્થાકીય માળખાનો અભાવ, ગુણવત્તાપૂર્ણ વૃક્ષોના ઉછેરનો અભાવ કૃષિ સેકટરમાં ક્રેડિટ, માર્કેટિંગ, વિમો, કાયદાકીય નિયંત્રણ વગેરેને કારણે કૃષિ વનીકરણમાં વિકાસ કરી શકાય નહી. રાષ્ટ્રીય કૃષિવનીકરણ નીતિ-૨૦૧૪ના કારણે સમગ્ર દેશમાં કૃષિવનીકરણ હેઠળ વિવિધ વૃક્ષોની ખેતીનો સમાવેશ કરી શકાય. લગભગ ૨૦ જેટલા વૃક્ષોની જાતોની કાપણી, હેરાફેરી તેમજ વેચાણ કરવા માટે દરેક જગ્યાએ સમાન માળખુ ઘડી શકાશે. આ નીતિ હેઠળ જે ૨૦ જેટલી વૃક્ષોની જાતોને (પોપલર, નિલગિરિ, મહોગની, અરડૂસો, મેલિઓ, કરંજ, શરૂ, સાગ, નાળિયેરી, સેવન, દેશી બાવળ, ખિજડી, સીમારૂબા, મેજીયમ, સરગવો, સીસમ, અંજન, આમળાં વગેરે) આવરી લેવામાં આવી છે. તેના ઉપર આર્થિક રીતે પોષાય અને જે તે વિસ્તારને અનુકૂળ કૃષિ વનીકરણ પદ્ધતિ વિકસાવી શકાશે. આ વૃક્ષોની જાતની સંપૂર્ણ ખેત પદ્ધતિઓ વિકસાવવી જોઈએ. માન. પ્રધાનમંત્રીશ્રી, ભારત સરકારની ‘હર મેડ પર પેડ'ની હાકલ પ્રમાણે ખેતરની ફરતે વિવિધ વૃક્ષોનું આયોજન કરી વૃક્ષોની સંખ્યા વધારી શકાય. ઉપરાંત આ બહુપયોગી વૃક્ષોમાંથી વધારાની આવક પણ મેળવી શકાય.







    • બે નાળિયેરના વૃક્ષની વચ્ચે એક સરગવો અથવા બે મીઠા લીમડાના વૃક્ષ અથવા એક આંબાનું વૃક્ષ વાવી શકાય.
    • બે આંબા વચ્ચે સરગવો અથવા મહોગનીનું વૃક્ષ ઉગાડી શકાય.
    • ખેતરમાં એક-બે જગ્યાએ વાંસનું ઝૂંડ ઉછેરી શકાય.
    • ખેતરના રસ્તા ઉપર ૧૫ ફૂટના અંતરે જાંબુ, નાળિયેરી, આંબા, ગુંદા, આમળાં, આમલી વગેરે રોપી શકાય.ઉપરાંત બે મોટા વૃક્ષોની વચ્ચે સાગ, નિલગિરિ મહોગનીના રોપા ઉગાડી શકાય. દા.ત. ચીકુ અથવા આંબાના બે વૃક્ષ વચ્ચે સાગને ઉછેરી શકાય.

      • ખેતરમાં ઢોર બાંધવાની જગ્યા પાર્કિંગ અથવા સ્ટોર હાઉસની જગ્યાએ ઉપયોગી વૃક્ષ ઉછેરી શકાય અથવા અશોકવાટિકા ઊભી કરી શકાય.
      • ખેતરમાં પડતર જગ્યામાં નિલગિરિ, દેશી બાવળ, અરડૂસા અથવા સેવનના છોડ ઉગાડી શકાય.
      • ખેતરના શેઢા-પાળા ઉપર ઝડપથી સીધા વધતા વૃક્ષો નીચે સુપ પ્રકારના છોડ ઉછેરી શકાય.
      • ખેતરમાં રહેઠાણની ફરતે અથવા કૂવા બોરની ફરતે વિવિધ ફળફળાદીના વૃક્ષો ઉપરાંત સરગવો, લીંબુ મીઠો લીમડો જેવા વૃક્ષો અને આયુર્વેદિક છોડ પણ ઉછેરી શકાય.




      • કૂદકે અને ભૂસકે વધતી માનવ વસ્તી તથા પશુધનને ઘાસચારો ખવડાવવા માટે વૃક્ષોનું મહત્ત્વ દિનપ્રતિદિન વધતું જાય છે જેથી લીલો ચારો પૂરો પાડતા વૃક્ષો પણ ખેતરની ફરતે ઉછેરી શકાય
      • દા.ત. અંજન, લીમડો, સરગવો, સુબાબુલ વગેરે.
      • દેશના સર્વાગી વિકાસની સાથે પ્રદૂષણ અને ઊર્જાશક્તિની ઉણપની સમસ્યાઓ વધી છે જેથી ઝડપી વિકાસ પામતાં વૃક્ષો ઉગાડી ટૂંક સમયમાં વધુ જૈવિક જથ્થો મેળવી શકાય.




No comments:

Post a Comment