ગૌતમ બુદ્ધ ની મધ્યમમાર્ગની પસંદગી અને જ્ઞાનદર્શન.
એ જ દિવસે સુજાતા નામની એક સ્ત્રીએ એમને ખીરનો કટોરો આપ્યો. એક ઘાસ વાઢતા માણસે સુવા માટે ઘાસની પથારી કરી આપી. ગૌતમે આ બન્ને ભેટોનો સ્વીકાર કર્યો. પછી ધીમેધીમે એમનું શરીર સુધરતું ગયું. એક પીપળાના ઝાડ નીચે એમણે આસન જમાવ્યું અને જ્યાં સુધી પોતાના પ્રશ્નોના જવાબ ન મળે ત્યાં સુધી ત્યાંથી ન ખસવાનો નિર્ણય કર્યો.
એક રાતે, પરોઢ થતાં પહેલાં, જીવનનાં ચાર સત્યોના એમને જવાબ મળી ગયા દુ:ખ અને વેદનાનું અસ્તિત્વ, તેનાં કારણો, એને દૂર કરવાની જરૂર અને તેના ઉપાયો. આમ ગૌતમમાંથી તેઓ ગૌતમબુદ્ધ એટલે કે જેમને જ્ઞાનનો બોધ થયો છે, જેમને પ્રકાશ મળ્યો છે બન્યા. આ એમની પાંત્રીશમી વર્ષગાંઠને દિવસે વૈશાખી પૂર્ણિમાની રાતે બન્યું.
બુદ્ધ ગયાથી વારાણસી પાસે સારનાથ ગયા. ત્યાં પાંચ જણ એમના શિષ્યો બન્યા. એમણે એમને જે સત્યો પોતે પામ્યા હતા તેનું જ્ઞાન આપ્યું. પહેલો સંઘ ( સમૂહ ) સ્થાપ્યો. પછી તો એમણે સતત દૂરદૂરના પ્રદેશોમાં ભ્રમણ કર્યું, એમણે મેળવેલાં સત્યોનો ઉપદેશ આપ્યો. એમનો શિષ્ય – સમૂહ વધતો જ ગયો. એમાં વિદ્વાનો હતા સન્યાસીઓ હતા, રાજાઓ તથા પ્રધાનો હતા.
એમણે જેનો ત્યાગ કર્યો હતો એ ગૃહમાં પણ પાછા ગયા પણ આ ભિખ્ખુ આ વખતે પિતાના રાજ્યમાં રાજકુંવર તરીકે નહી પણ ભિખ્ખુ સાધુ તરીકે ગયા. ત્યાં એમના પિતા, સાવકી મા, પત્ની તથા પુત્ર સંઘમાં સામેલ થઈ ગયા.


No comments:
Post a Comment